
ભરેલાથી ખાલીપણાનો અહેસાસ’.
‘નજદિક હોવા છતાં દૂર’ ચિત્તની દશા.
‘છે, છે ને નથી, નથી’ નો અવિરામ અટૂટ ખ્યાલ.
આપણા સહુના જીવનમા ડર તેમ જ દ્વિધા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જો
તેમાં શંકાનું આરોપણ થાય તો હર્યાભર્યા સંસારને વિરાન થતાં સમય લાગતો
નથી. શકાનું બીજ રોપાય અને તેને અંકુર ફૂટે તે પહેલાં તેનો નાશ થાય તે
હિતાવહ છે. શંકાનું બીજારોપણ કરનાર જ્યારે નિઃસ્વાર્થ પ્રેમનો દાવો કરે
ત્યારે તે ખૂબ અજૂગતું લાગે તેમાં નવાઈ ન પામશો.
‘રોમા’ જે ખાલીપણાથી વિપરિત દિશામાં યાત્રા શરૂ કરે છે. જીવનના મધ્યાહ્ન
પર પડાવ નાખ્યો છે. કુટુંબમાં આવેલી અનેક બાધાઓને કારણે પરણવાનું ભૂલી
ગઈ હતી. કોઈ અફસોસ ન હતો. સુંદર નોકરી હતી. નાની બહેન અને ભાઈ પરણીને
તેમના પરિવારમાં પરોવાયા હતા. રોમા એકલી પડે ત્યારે થતું, ‘ગાડી ચૂકી ગઈ’. સંતોષ
એ વાતનો હતો કે માતા અને પિતાનું મૃત્યુ સુધાર્યું. અત્યારે સુખ અને સંતોષને પારણે
ઝુલે છે. કુટુંબમાં મોટી હોવાને કારણે પ્રેમ પૂર્વક પોતાની જીંદગીનો રાહ પસંદ કરી .
અવારનવાર કોલેજ કાળના મિત્ર શિશિરની મુલાકાતો પાર્ટીમાં થતી હતી.
કોલેજકાળ દરમિયાન મિત્રતા હતી તે તાજી થઈ. હાલમાં તેનો સુખી સંસાર જોઈ
ખુશ રહે છે. શિશિર અને સ્નેહનો કિલકિલાટ કરતો સંસાર કોઈને પણ ઇર્ષ્યા
પમાડે તેવો હતો.
શિશિર, પાનખરમાં પણ વસંત લાવે તેવો હોવા છતાં, સંજોગોનો માર્યો અટવાય છે.
નિરાશાને તેની નજીક ઢુકવા દેતો નથી. હસી મજાકિયો જીંદગીની ગાડી સરળતાથી
પાટા પર ચલાવી ખુશ છે.
શિશિર અને સ્નેહ બંને ખુશ મિજાજમાં હતા. આજની પાર્ટીમા ખાવા પીવાથી માંડી
બધી વ્યવસ્થા ખૂબ સુંદર હતી. સ્નેહે એક પેગ ચડાવ્યો હતો તેથી શિશિરને બડબડાટ
કરી હેરાન કરી રહી હતી.
શિશિર સ્વસ્થતાથી ગાડી. ઘર તરફ પૂર ઝડપે ચલાવી રહ્યો હતો. તેને પણ આજે ખૂબ
આનંદ સાથે મન મોકળું કરવા મળ્યું હતું. બંને જણા ઘરે પહોંચ્યા ત્યારે ઘડિયાળ બે વાગ્યાની
સૂચના આપી રહી હતી.
બીજે દિવસે રવીવાર હતો. આરામથી ઉઠવાનું સવારે બે કપ ચહા ચડાવવાની અને છાપાની
મોજ માણવાની.પાર્ટીમાંથી આવી ત્યારે સ્નેહ ખુશમિજાજમાં હતી. સોમવારે સવારે સોના સાથે
બી.સી.એ.માં લંચ લેવા મળ્યા.
‘શું સ્નેહ તું તો કમાલ છે’?
‘કેમ શું થયું. મેં શું કર્યું’?
‘ અરે તેં નહી તારા મિસ્ટર શિશિરે ? ’પાર્ટીમાં શિશિર પેલી રોમા સાથે કેટલી છૂટ લઈ રહ્યો હતો.
તે જોયું નહી’?
‘અરે સોના, શિશિર અને રોમા તો કોલેજના સમયના મિત્ર છે’.
‘ હે, પાગલ ભૂલી ન જતી રોમા પરણેલી નથી?’
‘હું ઓળખું ને મારા શિશિરને’!
‘અરે, મારી ભોળી સ્નેહ, તું શું ઓળખવાની આજના ભ્રમર જેવા પુરૂષોને?’
સોના બે વર્ષ થયા સમીર સાથે છૂટાછેડા લઈ એકલી રહેતી હતી. સંસારનો રથ આવા શંકા કુશંકાના
પૈડાં પર સુરક્ષિત ન ચાલી શકે. છતાંય સમીરે સહન કરી પાંચ વર્ષ ખેંચ્યા. અંતે બને જણાએ છૂટાછેડા
લીધા.
આજના જમાનામાં ભણેલી યુવાન છોકરીઓને મોટા પે ચેક આવતા હોય છે, તેથી ખુમારીમા રાચે.
સમીર પાસેથી સોનાને સારો દલ્લો પણ મળ્યો હતો. સ્નેહ અને સોના વચ્ચે શાળાના સમયથી ગાઢ
મૈત્રી હતી. લંચ ખાઈને બંને છૂટા પડ્યા.સ્નેહ વિચાર કરતી થઈ ગઈ.આમ તો તે જલ્દી કોઈની વાત
કાને ન ધરતી.
સોના, તેની બાળપણની સખીએ આવું કહ્યું એ તેને ગમ્યું તો નહી પણ શંકાનું બીજ રોપાઈ ગયું હતું.
મિત્ર મંડળમાં હમેશા સાથે હોવાથી સોના દર વખતે કાંઈકને કાંઈક વાત સ્નેહને કરતી.
શિશિરનો હસમુખો સ્વભાવ મિત્રોમાં જાણિતો હતો. તેની વાત અને રમૂજી ટુચકાંઓ રજૂ કરવાની
આગવી શૈલી માટે પ્રખ્યાત હતો. સ્નેહને તે ગમતું પણ ખરું. બે સુંદર બા્ળકોની માતા બનેલી સ્નેહ
કોઈકવાર પાર્ટીમાં જવાનું ટાળતી. મિત્રો આગ્રહ કરીને શિશિરને એકાદ કલાક માટે ઘસડી જતાં.
સોના શિશિરના વર્તનમાં દર વખતે નવી ખોટ સ્નેહને બતાવતી.
સ્નેહ માનવાનો ઇન્કાર કરતી પણ શંકાનો કીડો કોઈકવાર સળવળી ઉઠતો!
ત્યાં સોનાનો ફોન રણક્યો. ‘હલો, સ્નેહ કાલની પાર્ટીમાં શિશિરે હદ વાળી;
કેમ શું થયું .
રોમા અને શિશિર ડાન્સ કરતાં હતાં. રીના અને લીના બંનેને ઉશ્કેરી રહ્યા હતાં. તું બાળકો
સાથે ઘરે અને શિશિર, કહી સોના એ વાક્ય અધુરું છોડ્યું; ફોન મૂકી દીધો.
સ્નેહ જાણતી હતી. શિશિરે ઘરે આવી બધી વાત કરતો હતી. શિશિર બોલ્યો પણ ખરો,
‘ સ્નેહ તારા વગર પાર્ટીમાં જવું મને નથી ગમતું.’
સ્નેહ દ્વિધામાં હતી. કોણ સાચું? સોના કે શિશિર? ખબર નહી કેમ તેને શિશિરની વાતોમાં
શંકાની બદબુ આવવા લાગી.સોનાની વાતોમાં તથ્ય જણાયું. શંકાનો સળવળાટ ને વહેમનો
વલવલાટ કોઈ પણ વ્યક્તિનું ચેન લુંટવા શક્તિમાન છે.
શિશિરને ખૂબ પ્યાર કરતી, સોના તેની સખી ખોટું કહે તેવું તે માનવા તૈયાર ન હતી.
સોના પોતે છૂટાછેડા લીધાં હતાં તેથી દરેક પુરૂષને ખોટા અર્થમાં જોતી થઈ ગઈ હતી. સ્નેહને
તેના પર આંધળો વિશ્વાસ હતો. ઘણી વખત શિશિર ઉપર વગર કારણે નારાજ થતી.પાર્ટીમાંથી
ઘરે આવી,પાર્ટીની તેની વર્તણુક ને શંકાસ્પદ બનાવી વાક યુદ્ધ કરતી. શિશિરે પહેલાં તો હસી
કાઢતો પણ વારંવાર થતું હોવાથી કોઈક વાર ગુસ્સે થતો.
શિશિર વિચારતો બાળકો આવ્યા પછી સ્નેહ કેમ આમ વિચિત્ર વર્તન કરે છે? હસી
મજાકનો તેનો સ્વભાવ સ્નેહથી ક્યાં અજાણ્યો હતો. બાળકોના માનસ પર કેવી વિપરિત
અસર થાય. બાળકોમાં ગુલતાન સ્નેહ ઝાઝું વિચારતી નહી અને પાણીમાંથી પોરા કાઢી
શિશિર સાથે સદા આખડી પડતી.
શિશિર ધીરે ધીરે સ્નેહથી દૂર થવા લાગ્યો. ઘરનું કલુષિત વાતાવરણ તેને તંગ કરી દેતું.
જેમ સ્નેહને સમજાવી સફાઈ પેશ કરે તેમ સ્નેહ એનો ઉંધો અર્થ કાઢી ઘરમાં યુદ્ધનું મેદાન
ખડું કરી દે.એકાદ વખત શિશિરે ચીમકી આપી ‘સ્નેહ, જો હું બદલાયેલો હોંઉ, તારા મતે
બદચલન હોંઉ તો મને ખુશીથી છૂટો કરી દે.પણ આવા રોજના ઝઘડા મને પસંદ નથી.’
‘સ્નેહે વળતો ઘા જોરદાર કર્યો, ’તું મારાથી ઉબાઈ ગયો છે. બે બાળકો થયા પછી તને
મારામાં કોઈ રસ રહ્યો નથી.’
‘સ્નેહ, આ શબ્દો તારા મુખમાંથી નિકળે છે. મને મારા કાન ઉપર વિશ્વાસ નથી આવતો.’
‘સારુ છે તને મારામાં તો વિશ્વાસ છે?’
‘કોણે કહ્યું ?’
ખલાસ આ બે શબ્દો તીરની જેમ સ્નેહને વાગ્યા. આજે આગનો ભડકો જોરદાર હતો. કો’કને
ભરખી જશે એ ચોક્કસ હતું. ક્રોધ ઉપર કાબૂ પામવો એ અશક્ય વાત છે. તેનું પરિણામ
વિનાશકારી હોય એમાં શંકા નથી. આજે સ્નેહ અને શિશિર બંને જણા પોતાની જાતને સંભાળી
ન શક્યા.એક જણ શાંત રહ્યું હોત તો આવું પરિણામ ન આવત.
સ્નેહ, સોનાની ચડામણીમાં સાચા ખોટાંનો ભેદ પારખી ન શકી. શિશિર, સ્નેહના વારંવાર
થતા આ્ક્ષેપો સાંખી શકતો નહી.
અંત આવ્યો જે સુખદ ન હતો. સ્નેહ અને શિશિર છૂટાં પડ્યા. બાળકો આમ તો માને મળવા
જોઈએ પણ સ્નેહનું વર્તન યોગ્ય ન હતું તે બાળકોને પણ લાગ્યું. દીર્ઘ અને દૃષ્ટિએ પિતા સાથે
રહેવાનું સ્વિકાર્યું.
બંને જણા મોટા હતાં. ૧૦ વર્ષનો દીર્ઘ અને ૧૨ વર્ષની દૃષ્ટિ.
સ્નેહને રહેવા ઘર અને પૈસા મળ્યા જેથી તે શાંતિથી જીવી શકે. નોકરી પણ મળી ગઈ.
તેને થયું બાળકો પણ નહી, કોઈ જાતની જવાબદારી કે બંધન નહી. આઝાદી ખૂબ ગમી.
શિશિર બાળકોને ખૂબ વહાલ કરતો. રોમાને જાણ થઈ તે અવારનવાર શિશિરના બાળકોનું
ધ્યાન રાખતી.શિશિર કામ માટે બહારગામ જાય ત્યારે બંને બાળકો તેના ભરોસે છોડતો.
સ્નેહ કોર્ટે ઠરાવેલ સમય અનુસાર બાળકોને મળતી.
શરૂ શરૂમાં સ્નેહને સ્વતંત્રતા ખૂબ વહાલી લાગી. છેલ્લે છેલ્લી શિશિર સાથે પ્રેમ કરતાં
ઝઘડાં વિશેષ થતાં હતાં એટલે તે બહુ યાદ ન આવતો પણ બાળકોની યાદ સતાવતી.
સોના સાથે તો હવે ૨૪ માંથી ૨૦ કલાક ગાળવા મળતાં. એકબીજાને ત્યાં રાત ગાળતાં.
શિશિરને રોમા ધીરે ધીરે નજીક સર્યા. રોમા પોતાના કુટુંબની પરિસ્થિતીને કારણે પરણી
શકી ન હતી. પિતાની આવક થોડી અને બિમાર માતા કઈ રીતે તેમને છોડી પોતાનો
ઘરસંસાર માંડે. તેથી ૪૦ વર્ષે પણ તે એકલી હતી. ત્યાં શિશિર, જેની સાથે કૉલેજકાળ
દરમ્યાન મૈત્રી હતી તેણે જીવનમાં પ્રવેશ કર્યો.
બંને જણા કૉલેજમાં આવ્યા, દીર્ઘ ડૉક્ટર થયો અને દૃષ્ટિએ એમ.બી.એ. કર્યું. શિશિર અને
રોમા ખૂબ શાંતિ પૂર્વક જીવન જીવી રહ્યા. શિશિર આજે પણ એવો મસ્તરામ છે. રોમાને
તેનો હસમુખો સ્વભાવ ખૂબ ગમતો.
આજે અચાનક ‘કૉપર ચિમની’માં બધા ડિનર લઈ રહ્યા હતા. ત્યાં સ્નેહ અને સોના બે પુરૂષો
સાથે આવ્યા. તેમની સાથે નોકરી કરતા હતા. સ્નેહ, શિશિરને બાળકો તથા રોમા સાથે જોઈ
ખચકાઈ. આંખ આડા કાન કર્યા. બાળકો ઉભા થઈને મમ્મીને પ્યારથી મળી પાછાં આવ્યા.
શિશિર તો હવે રોમાના પ્યારમાં ગળાડૂબ રહેતો.
સ્નેહને આજે ખાલીપણાનો ભરપૂર અહેસાસ થયો. તેના અંતરના ગોખલે દીર્ઘ અને દૃષ્ટિ જેવા
બે દીવા પ્રગટ્યા હતા. સહેલીની વાતોમાં આવી પોતે જ પોતાનું ખાલીપણું આવકાર્યું હતું ! રહી
રહીને તેને આજે વિચાર આવ્યો શું આ સ્થિતિ તેણે જાતે નોતરી હતી ?
વહાલસોયા પતિ પ્રત્યે શંકા કરી હર્યો ભર્યો સંસાર અવગણી ખાલીપણાને આમંત્રણ આપ્યું.
-‘હર્યો ભર્યો સંસાર અવગણી ખાલીપણાને આમંત્રણ આપ્યું.’ના વિચાર વમળે …
એકડા, બગડા કે પાંચડાની શોધ કોણે કરી એવું આપણે કદી નથી પૂછતાં. શૂન્યની શોધ વિશે કાયમ ચર્ચા થાય છે. શું શૂન્ય બાકી આંકડાથી અલગ છે? અલગ એ રીતે ગણી શકાય કે, ૧ થી ૯ સુધીના દરેક અંક કોઈ સંખ્યાની હાજરી દર્શાવે છે. જ્યારે શૂન્ય એ કોઈ સંખ્યા નથી, ઉલટાનું એ સંખ્યાની ગેરહાજરી દર્શાવે છે. કશું ન હોવાની પરિસ્થિતિ શૂન્યતા છે. શૂન્યતા એ વિચાર કે પદાર્થ નથી. કોઈ વિચાર કે પદાર્થની હાજરી ન હોવાનો પ્રસંગ સ્વયં શૂન્યતા છે. અરે! આ તો આપણે ગણિતના બદલે ફિલોસોફીમાં આવી ગયાં.
ઋગ્વેદમાં અને ત્યારબાદ બૌદ્ધ ધર્મમાં ‘નિર્વાણ’ની વિભાવનામાં આ પ્રકારના ‘ખાલીપણા’નો ઉલ્લેખ છે. તેના માટે સંસ્કૃતમાં ‘શૂન્ય’ અને ‘શૂન્યતા’ શબ્દો વપરાયા, જેને ગણિત સાથે કોઈ લેવાદેવા નહોતા. ભારતીય ફિલોસોફીમાંથી એ ગણિતમાં કેવી રીતે પ્રવેશ્યું એનો અભ્યાસ વર્ષોથી અમુક ગણિતજ્ઞો અને ઈતિહાસકારો કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ભારતીય સંસ્કૃતિ સિવાય હજારો વર્ષ અગાઉ સુમેરિયન, બેબિલોન અને માયા સંસ્કૃતિમાં પણ શૂન્યનો વપરાશ હોવાના પુરાવા છે. તેઓ અલગ અલગ સંખ્યા દર્શાવવા માટે ચોક્કસ સંજ્ઞા વાપરતા, જેમાં કોઈ સ્થાન પર એકપણ સંખ્યા ન હોય તો તે સ્થાન ખાલી રાખતા, પણ તેમાં બહુ મૂંઝવણો ઊભી થવા લાગી. દા.ત. આજના સમયમાં આપણે 107 લખીએ તો ‘એકસો સાત’ સંખ્યા બધાંને ખબર પડે. પણ શૂન્ય માટે આપણી પાસે કોઈ સંજ્ઞા ન હોય તો તેની જગ્યા ખાલી છોડીને 1 7 લખવું પડે. એ જ રીતે 80 ને બદલે ફક્ત 8 લખાય. પાછળ ખાલી જગ્યા છોડી છે, એ ખ્યાલ આવે કે ન પણ આવે. કેવા લોચા પડે! તેથી બેબિલોનનાં લોકોએ આ ખાલી જગ્યા માટે પણ એક અલગ સંજ્ઞા બનાવી. એ શૂન્યનું સૌથી પ્રાચીન સ્વરૂપ કહી શકાય. તે છતાં તેમણે એવું કદી નહોતું વિચાર્યું કે, શૂન્યની સંજ્ઞા પણ અન્ય સંજ્ઞાની જેમ એક આંકડો જ છે. ઈસવીસન 630ની આસપાસ ગણિતજ્ઞ બ્રહ્મગુપ્ત પોતાની ગણતરીમાં શૂન્ય માટેનો સંકેત વાપરતા. તે શૂન્ય માટે અંકની નીચે ટપકું વાપરતા હોવાના પુરાવા છે. તેથી શૂન્યનો સર્વપ્રથમ સ્પષ્ટ વપરાશ બ્રહ્મગુપ્તના નામે કહી શકાય, પણ તેમણે શૂન્યની શોધ કરી તેમ ન કહી શકાય. એમ તો બ્રહ્મગુપ્ત પહેલાં થયેલા આર્યભટ્ટની ગણતરીઓ પરથી પણ ખ્યાલ આવે છે કે, તેમને શૂન્ય વિશે જાણકારી હતી. ટૂંકમાં, ભારતીય ગણિતમાં શૂન્ય ક્યાંથી આવ્યું તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. શૂન્ય સાથેની આપણી દશાંક પદ્ધતિને આરબ ગણિતશાસ્ત્રીઓએ વિવિધ ગણતરીમાં બાહોશીથી વાપરી, અને તેને વધુ વિકસાવી. તે ઈસ્લામનો સુવર્ણકાળ હતો. ઈસ્લામિક નિષ્ણાતોએ છેક બારમી સદીમાં શૂન્યને યુરોપ સુધી પહોંચાડ્યું. ત્યારબાદ ઈટાલિયન ગણિતજ્ઞ ફીબૉનેકીએ યુરોપમાં શૂન્યનો ઉપયોગ એકદમ પ્રચલિત કરી દીધો. ત્યાંના વેપારીઓ પણ લે-વેચના હિસાબોમાં સહેલાઈથી શૂન્ય વાપરવા લાગ્યા, પણ યુરોપના ધાર્મિક વડાઓએ શૂન્યને શેતાનની સંખ્યા જાહેર કરીને તેના ઉપયોગ પર પ્રતિબંધ નાખ્યો,કારણ ફક્ત એટલું કે, તેને આરબો લઈને આવેલા. તે છતાં વેપારીઓ તેને ગેરકાયદેસર રીતે વાપરતા રહ્યા. અંતે ઝીરો ઉર્ફે ‘0’ દુનિયામાં છવાઈ ગયો. આધુનિક યુગમાં બ્રહ્માંડને સમજવા માટે ‘ખાલીપણું’ (nothingness) એ મુખ્ય ચાવી ગણાય છે.
યાદ આવે
ઉંબર ને બારણા ને કે ના ટોડલાને પૂછ,
ઘરમાં ઉદાસી કેમ છે ખાલીપણા ને પૂછ.
રણ તો કહેશે કેટલાં હરણાં ઢળી પડ્યાં,
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવા ને પૂછ.
ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું,
પંખી હતું કે પૂર હતું એ પાંદડાને પૂછ.
– મનોજ ખંડેરિયા
અને
ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.
સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.– જવાહર બક્ષી
શંકાનું બીજ રોપાય અને તેને અંકુર ફૂટે તે પહેલાં તેનો નાશ થાય તેહિતાવહ છે.
આજના જમાનામાં ભણેલી યુવાન છોકરીઓને મોટા પે ચેક આવતા હોય છે, તેથી ખુમારીમા રાચે👍✅.