ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ”

hungry

 ભૂ્ખ્યાં જનોનો જઠરાગ્નિ”

*******

અગ્નિના પ્રકારમાં જઠરાગ્નિ એ સહુથી અગ્રિમ છે. એ ક્યારેય બુઝાતો નથી. એ સંતોષાય છે ખૂબ જલ્દી, પણ તેની ઝીણી જ્યોત હમેશા જલતી રહે છે. જ્યારે કરસન નાનો હતો ત્યારે અનુભવી ચૂકેલો હતો.  બે બહેનોનો એકનો એક લાડકો નાનેરો ભાઈ હતો. પણ વિચાર હમેશા તેના ઉમદા અને પ્રગતિની દિશામાં  કૂચ કરતાં. ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરી જ્યારે વકિલ બન્યો ત્યારે પિતાની આંખો ખુશીથી છલકાઈ ઉઠી. મા તો બિચારી આખી જીંદગી ્વૈતરાં કરી એવી કંતાઈ ગઈ હતી કે બે દીકરીઓને પરણાવી ચાલવા માંડ્યું. કરસનની પ્રગતિ તે ન જોઈ શકી, ન માણી શકી ! કરસન જેને કૃષ્ણ પર ભરોસો અને જાત માં વિશ્વાસ ,યેનેકેન પ્રકારેણ લંડન જઈ બેરિસ્ટર બનીને પાછો આવ્યો.

તેના સ્વપના પૂરાં કરવામો રસ્તો સરળ બન્યો. પિતાની હાલત નાદુરસ્ત રહેતી. બન્ને બહેનોનો સાથ અને કરસનની પિતૃભક્તિએ પૂરી સેવા ચાકરી કરી. અરે, લગ્ન પણ મોકુફ રાખ્યાં.  તે જાણતો હતો નવી આવનારી પિતાને અન્યાય કરશે.’ તેના દિલમાં બુઢા સસરા માટે લાગણી જન્મવી મુશ્કેલ નહી નામુમકિન હતી.’ જે તેનાથી સહન નહી થાય. પિતાએ આખરી શ્વાસ લેતાં કહ્યું ,

“બેટા તારી બધી મનોકામના પૂર્ણ થશે. મને મરતાં સમયે વચન આપ કે ,હવે તું લગ્ન કરી સંસાર માંડીશ.”   પિતાને તે ના ન પાડી શક્યો.

લંડનમાં કેતકી સાથે પ્રેમ થયો હતો. કેતકી તેના વિચારો અને તેની મનોકામના જાણતી હતી. તે પણ પાછી ભારત આવી પોતાના પિતા સાથે હાઈકોર્ટમાં જતી હતી. હવે કરસનનો માર્ગ ખુલ્લો થયો. મંઝિલ પર દોડવાના ઈરાદે કેતકી સાથે લગ્ન કરી રાજકારણમાં ઝંપલાવ્યું. તેના સ્વચ્છ વિચારો અને સત્યના આગ્રહને કારણે પ્રગતિ કદમ ચૂમતી આવી. રાજકારણમાં ફેલાયેલી બદી, અંધાધુંધી અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો નિરધાર કર્યો.

કેતકી સાથે મસલત કરી બન્ને જણાએ સુંદર વિચાર ને હકિકતમાં ફેરવવાનો નિર્ધાર કર્યો. કેતકીને મેળવી કરસન જીવનના કાર્યો એક પછી એક આટોપતો આગળ વધી રહ્યો હતો.

નાતાલની ઉજવણી હોય પછી પૂછવું જ શું ? ચારે તરફ ખાણીપીણીની રેલમછેલ હતી. એક એક થાળીના ૫૦૦૦ રૂપિયા હતાં. હા,’ નોટ બદલી’નો જુવાળ  હવે શાંત થઈ ગયો હતો. જેમનાં ગયા તેમને લમણે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો હતો.

સારું થયું કે પપ્પુ અને સોનિયાને હાર્ટ એટેક ન આવ્યો.

પેલી જયલલિતાનું શું થયું ?  એના કોઈ સમાચાર નથી.

લાલુ ને રબડી પણ ભૂગર્ભમાં ઉતરી ગયાં.

 કાળાં બજારીઆ તેમના ઘરની તિજોરીમાં  નોટોના થોકડાં જોઈ ,”મ્હો  વાળે છે”.

આ પ્રથા પહેલાંના જમાનામાં કોઈ પણ વ્યક્તિનું  મરણ થાય ત્યારે ગુજરાતના  ગામડાંઓમાં હતી. આજે પ્રચલિત છે કે નહી તેનાથી સાવ અજાણ છું. ‘હવે આ નોટોનું શું કરીશું ? 

કચરાની ટોપલીઓમાં પધરાવવાની, બીજું શું ‘.

જેને ફિકર હોય તે રસ્તા શોધે. તેને કારણે કાંઈ જીવન અટકતું નથી, નાતાલના તહેવારની ઉજવણી  ખૂબ મોટા પાયા પર ચાલતી હતી. મહેફિલ જામી હતી. ચારે બાજુ હાસ્યની છોળો રેલાઈ રહી હતી. શરાબની બાટલીઓનો ટંકારવ કર્ણપ્રિય લાગતો હતો. સંગીતના સૂર પર સહેલાણીઓ ઠુમકા મારી રહી હતી. ધરતી પર જો સ્વર્ગ હોય તો અંહી જ છે . ભલેને નોટો બદલાઈ પણ જેમની પાસે ટેક્સ ભર્યા પછી પણ અઢળક ધન હતું તેઓ  આનંદ ચાર હાથે લુંટવા માંગતા હતાં. આખી જીંદગી ગરીબોનાં લોહી ચૂસ્યા હતાં. તેમને જરા પણ શેહ કે શરમ ન અડે.

માદક અને મદહોશતા પ્રસરી રહી હોય  એમ ભાસતુ હતું.  આજના મુખ્ય મહેમાન આદરણિય પ્રધાન સાહેબ હજુ પધાર્યા ન હતાં. જામેલી મહેફિલ થોડી કાબૂ બહાર હતી. છતાંય સંયમની મર્યાદા જાળવી સહુ પોતાનું વર્તન કરતા હતા. કેમ ન કરે સમાજનો ઉપલો વર્ગ મળ્યો હતો !

સમાજનો એ વર્ગ , જેના ખિસ્સામાં પૈસાનું જોર હોય છે.  તેઓ પોતાની જાતને ખૂબ હોંશિયાર સમજે છે. અભિમાન તો તેમને નાકને ટેરવે બેઠેલું હોય. ‘ હુંપણું’ તેમના વાણી અને વર્તન દ્વારા છતું  થતું હોય. તેમના અવાજનો રણકો શંખ નાદ કરતા પણ બુલંદ હોય. જ્યાં ભપકો અને આડંબર સિવાય બીજું કશું નજરે ન પડે. આ એમનું જીવન અને આ એમનું મિત્ર મંડળ.’ જ્યાં પૈસો બોલે અને માનવી ડોલે.’ હા જ્યારે આવા ફંડફાળા ભેગાં કરવાના હોય ત્યારે તેમનો પૈસો કામ લાગે.

આજની મહેફિલનો મુખ્ય હેતુ, ‘બાબુલનાથ અનાથ આશ્રમના” બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેને માટે ફંડ ભેગું કરવાનો હતો. એક જમવાની થાળીના પાંચ હજાર રૂપિયા તેમને મન મોટી વિસાત ન હતી. કારણ સુંદર હોવાને લીધે ‘કેટરિંગ કંપની’ના માલિકે એક પણ પૈસો લેવાની ના પાડી હતી. જે સભાગૃહ હતું તેનું ભાડું લેવાની તેના માલિકે પણ ના પાડી. સારાં કાર્યમાં સહુ પોતાનો ફાળો નોંધાવવા આતુર હતાં. આમ આજના કાર્યક્રમની આવકના ૧૦૦ ટકા અનાથ આશ્રમના બાળકોનો ઉચ્ચ શિક્ષ્ણ માટે વપરાવાના હતાં.

એટલામાં  પ્રધાન સાહેબ પધાર્યાની ઘોષણા થઈ. સોય પડે તો પણ સંભળાય તેવી શાંતિનું સામ્રાજ્ય ચારેકોર છવાઈ ગયું.પ્રધાન આવે એટલે એમની આજુબાજુ લોકો માખીની માફક બણબણે. આ માન પ્રધાનને  નહી , પણ તેમની ‘ ખુરશી’ ને છે.  પ્રધાન સાહેબ પોતે પણ આ વાતથી વાકેફ હતાં.   ટુંકુ ટચ  ભાષણ આપી સહુને આવકારી તેઓ બેસી ગયા. બે પાંચ નાનામોટા ભાષણ થયા. પ્રધાન સાહેબને બીજી બે પાર્ટીમાં જવાનું હતું. તેમને ખબર હતી જો રાતના ૯ વાગ્યા પહેલાં ઘરે નહી પહોંચે તો તેમના,’હોમ મિનિસ્ટર’ તેમની રેવડી દાણાદાણ કરી મૂકશે.

મનોરંજનનો કાર્યક્રમ ચાલુ થયો. લોકો પોતની માતૃભૂમિ માટેનો પ્રેમ દર્શાવવામાં તલ્લિન હતાં. જ્યારથી  શ્રી નરેન્દ્ર મોદી  આપણા દેશના  વડાપ્રધાન થયાં છે ત્યારથી દેશભક્તિના દર્શન થાય છે, પ્રજા જાગૃત બની છે. કૌભાંડો સંભળાતાં નથી. અને ચલણી નોટોને રદ કરી એ તો ખૂબ અગત્યનું પગલું લીધું છે. દેશની પ્રજામાં સહકારની ભાવના પણ જણાય છે. કાર્યક્રમ ખરેખર ખૂબ રસપ્રદ હતો.

પ્રધાન સાહેબને બીજા બે અગત્યના રોકાણ હતા. તેથી  જેવો કાર્યક્રમ પૂરો થયો કે  દરેક જણ પોત પોતાની જગ્યા પર ગોઠવાયા અને કતારબંધ ખાવાનું પિરસવાવાળા નિકળી પડ્યા. ડીનર માટેની વાનગી નો દમામ તો પેલા મંદીરના ઠાકોરજીના અન્નકૂટને પણ ઝાંખો પાડી દે તેવો હતો. જેની સોડમ આટલી સુંદર હોય તે અન્ન કેટલું ભવ્ય અને સ્વાદિષ્ટ હશે ? તેની કલ્પના જ કરવી રહી.

ભોજન બધુ પરોસાઈ ગયું. સમૂહમા પ્રાર્થના કરી દરેકે જમવાની શરૂઆત કરી. ‘ચિયર્સ’ કરીને એકબીજાના જ્યુસ પીવાના ગ્લાસ  ટકરાયા.  હજુ તો માંડ ખાવાની શરૂઆત કરી  ત્યાં અચાનક “આગની ભય સૂચક” ઘંટડી વાગી, દરેકના હાથમાં રહેલો કોળિયો મુખ સુધી પહોંચ્યો પણ નહી. શું કરવું તેની વિમાસણમાં હતાં. ત્યાં સહુથી પહેલા પ્રધાન એંઠા હાથે દરવાજા તરફ દોડ્યા.

પ્રધાન સાહેબ બહાર આવી ગયા એટલે હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ કેવી રીતે  ભોજનનો રસાસ્વાદ માણી શકે. દરેક જણ મિનિસ્ટરને અનુસર્યા.  મોટા શણગારેલા ભોજનના કમરામાંથી બહાર નિકળી વરંડામા જમા થયા. શું થયું ? કેમ આ ઘંટડી વાગી ? સહુ અટકળ કરતાં હતાં. પિરસાયેલાં ધાન રઝળી પડ્યા. બરાબરની ભૂખ લાગી હતી. પ્રધાન જ જ્યારે બહાર હોય તેમની આમન્યા જાળવવા સહુ બહાર એકઠ્ઠા થઈ અટકળ કરતાં હતાં.

ત્યાં તો બીજી તરફના બારણેથી લગભગ ૩૦૦ જેટલા ગરીબ બાળકો અંદર ધસી આવી સહુના એંઠા ભાણા પર ટૂટી પડ્યા. આંખના પલકારામાં ભપકાદાર શણગારેલાં રૂમની દશા બદલાઈ ગઈ. જ્યાં માંડ બસો માણસોનો સમાવેશ થયો હતો ત્યાં ૩૦૦ બાળકોની વાનર સેના ? મહેમાનોને કશી ગતાગમ પડી નહી. મજેદાર મિષ્ટાન અને ફરસાણની સોડમ પીછો છોડતી ન હતી . ત્યાં શીવજીના તાંડવ જેવું દૃશ્ય જોઈ બધા નવાઈ પામ્યા. આમંત્રિત  મહેમાનોની આંખો પહોળી થઈ ગઈ. આ શું ચાલી રહ્યં છે એ સમજવાના હોશકોશ ઉડી ગયા હતાં. બધું જ મનભાવન ખાવનું સફાચટ થઈ ગયું.

અચાનક પ્રધાન સાહેબનો માઈક ઉપરથી અવાજ સંભળાયો. આમંત્રિત મહેમાનો, જે જોઈ રહ્યા છો, તે સત્ય છે. મારી વિનવણીથી આ નાટક કરવામાં આવ્યું હતું. યાદ રહે આપણા “ભારતના ગરીબ વર્ગનો જઠરાગ્નિ” જે દિવસે જાગશે ત્યારે ખંડેરની ભસ્મ કણી પણ હાથ નહી લાગશે”. સમજો તો સારું નહીતર પરિણામ માટે તૈયારી રાખજો. આ તો માત્ર ઝલક છે. એ હતા આપણા લાંચરુશ્વતથી અળગા રહેનારા પ્રધાન “_ _ _ _”.**** ખાલી જગ્યામાં તમારા ગમતા પ્રધાનનું નામ લખવાની છૂટ છે.

*****************************************************************************************

One thought on “ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ”

Leave a comment